| એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે. આવનારા વર્ષોમાં આપણું ભારત વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બને અને ગુજરાત એમાં નેતૃત્વ અને પ્રેરણા પૂરી પાડે એ માટે આપણને સાચા માર્ગે વરેલી વિચારક્રાંતિની જરૂર છે. આપણને નવસંસ્કાર યુક્ત અને અનુઆધુનિક સસ્કૃતિની જરૂર છે. આમ તો સંસ્કૃતિના નિચોડ અને ઇતિહાસના પૃથ્થકરણમાંથી ઘણાં યુગપરિવર્તનકારી ગ્રંથો લખાયા છે, તો નવા યુગની વધામણી આપતા દેશ કાળની સીમાને ઓળંગી જતાં પુસ્તકો પણ ચિંતકોએ વિશ્વને ચરણે ધર્યા છે. પરંતુ વિચારશૂન્યતાને કારણે સમાજમાં વિચાર દારિદ્રય પ્રવર્તી રહ્યું છે. આપણે સમગ્રતામાં અને સર્વાંગી વિકાસ કરી શકીએ એ માટે આપણને જોઇએ છે આમૂલ સામાજિક, રાષ્ટ્રીય અને વૈચારિક પરિવર્તન. વાંચે ગુજરાત એ માટેનો એક અભિનવ નવતર પ્રયોગ છે જે છેલ્લા કેટલાંક વર્ષોથી નવસારીમાં સયાજી લાયબ્રેરી દ્વારા સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. |